Posted by: સુરેશ | October 9, 2006

ગુજરાતી ગઝલનો ઇતિહાસ – જયદીપ ટાટમીયા


Responses

  1. ‘ગઝલ’ એટલે તીરથી ઘવાયેલા હરણની ચીસ… આ વાત પહેલી વાર જ જાણી….થોડો હકીકતદોષ જણાય છે… ‘ગઝલ’ નહીં પણ ‘ગઝાલ’ એટલે હરણનું બચ્ચું… એ પરથી ગઝાલચશ્મી એટલે મૃગનયની…

    ‘ગઝલ’ એટલે ‘પ્રિયતમાને કરેલું સંબોધન’… બીજા અર્થ છે: પ્રેમની લાગણી દર્શાવવી, સ્ત્રીની સુંદરતાના વખાણ કરવા, પ્રેમયુક્ત ભાષામાં બોલવું…

    … આ ઉપરાંત ગુજરાતી ગઝલના પ્રણેતા તરીકે વલી ગુજરાતી અથવા વલી દખ્ખની મનાય છે, જેઓ મારા જ શહેર સુરતના વતની હતા…

     જયદીપભાઇએ ઇમેઇલ દ્વારા આનો જવાબ આપ્યો છે , જે નીચે મૂજબ છે :-

    પ્રિય વિવેકભાઈ,

    આપના પ્રતિભાવો માટે આભાર. આમ તો, ‘ગઝલ’ના ઘણાં બધા અર્થો ચલણમાં છે, પરંતુ સાહિત્યકારો અને વિવેચકો ‘તીરથી ઘવાયેલા હરણની ચીસ’ને જ ‘ગઝલ’નો અર્થ માને છે.

              મારી પાસે ઉપલબ્ધ માહિતી પ્રમાણે, મુહમ્મદ વલી દકનીની રચનાઓ આરંભિક ઉર્દૂ, કે જે ‘દકની’ કે ‘દખ્ખની’ તરીકે ઓળખાતી હતી, તેમાં હતી. ઉર્દૂ ભાષામાં પ્રદાન અને ઉત્ક્રાંતિની ર્દષ્ટિએ અમીર ખુસરો પછી મુહમ્મદ વલી દકનીનું નામ લેવામાં આવે છે. વલી દકનીની પ્રારંભિક રચનાઓ મારી પાસે અમદાવાદમાં ઉપલબ્ધ છે, જે અનુકૂળતાએ આપને મોકલીશ.  વધારે માહિતી તો હું અમદાવાદ જઈને જ આપી શકીશ.
    –જયદીપ.

  2. પ્રિય જયદીપભાઈ,

    વલી ગુજરાતી વિશેની વાત આપની કદાચ સાચી છે.

    બહેરામ મલબારી નામના પારસીએ ‘નીતિ અને વિનોદ’ નામના પુસ્તકમાં 1870ની સાલમાં થોડી ગઝલો લખેલી જોવા મળે છે. એ પહેલાંની ગઝલો ક્યાંય પ્રાપ્ય નથી.. ‘લગાગાગા’ના ચાર આવર્તનમાં લખાયેલી વ્યવસ્થિત ગઝલો આ પુસ્તકમાં જોવા મળે છે. એને કદાચ પ્રથમ ગુજરાતી ગઝલ કહી શકાય. એ પહેલાં 1845ની સાલમાં મુહમ્મદ કાસિફની ગુજરાતી ગઝલોનું પુસ્તક પ્રસિદ્ધ થયાની માહિતી છે પણ એ પુસ્તક અપ્રાપ્ય હોવાથી વધુ કહી શકાય એમ નથી.

    ઉર્દૂ ગઝલોમાં વર્ષો સુધી વલી દખનીને પ્રથમ શાયર માનવામાં આવ્યા હતાં. પણ ઈ.સ.
    1580માં ગોલકોંડાના રાજા કુલી કુતુબસાહે પ્રથમ ઉર્દૂ ગઝલો લખી હોવાનું પણ મનાય છે. અમીર ખુશરો પણ સર્વપ્રથમ ઉર્દૂ શાયરોની હરીફાઈમાં આગળ પડતું નામ ધરાવે છે.

    રઈશ મનીઆરનું ગઝલના ઈતિહાસ ઉપરનું પુસ્તક થોડા સમયમાં પ્રસિદ્ધ થનાર છે, જે આ વિષય પર વધુ પ્રકાશ પાડી શક્શે…

    ‘ગઝલ’ શબ્દના અર્થ વિશે મારે ફરીથી એટલું જ જણાવવાનું કે મકરંદ દવે-અમૃત ઘાયલના પુસ્તક ‘છીપનો ચહેરો ગઝલ’, ઉર્દૂ સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત ‘ઉર્દૂ-ગુજરાતી શબ્દ કોશ’ તથા મારી પાસે ઉપલબ્ધ ગઝલ વિષયક તમામ ગુજરાતી અને હિન્દી પુસ્તકો ( ગઝલ-સંવિધા(હિન્દી), ‘ગઝલ-સ્વરૂપ અને વિચાર’- હરિશ વટાવવાલા)માં ‘ગઝલ’ શબ્દનો પ્રચલિત અર્થ ‘પ્રિયતમાને સંબોધન’ જ લખવામાં આવ્યો છે. શરૂઆતની મોટાભાગની ગઝલોમાં એટલે જ તમને આશૂક-માશૂકની જ વાતો પણ જોવા મળશે… આપના સંદર્ભગ્રંથોનો ઉલ્લેખ કરશો તો જ્ઞાનમાં અભિવૃદ્ધિ થશે…

  3. પ્રિય વિવેકભાઈ,

    ફક્ત જયદીપ લખશો તો મને ગમશે.

    ઉર્દૂનો જન્મ અને પ્રારંભિક વિકાસ ડૅક્ક્ન કે દખ્ખણમાં જ થયો હતો. ગોલકોન્ડા અને બિજાપુરના શાસકો દ્વારા ઉર્દૂના શાયરોને પ્રોત્સાહન સાંપડતુ હતું. જ્યારે તે સમયે ઉત્તર ભારતમાં વ્રજ ભાષા તથા ફારસીનું મહત્વ સાહિત્યીક ર્દષ્ટિએ વધારે હતું. કુલી કુતુબશાહે પણ ગઝલોની રચના કરી હોવાનું મનાય છે. ‘પિયા બાજ પ્યાલા, પીયા જાયે ના’ કુલી કુતુબશાહની હોવાનું જ મનાય છે. પરંતુ, સંરચના અને સ્વરૂપની ર્દષ્ટિએ વલી દકની જ ઉર્દૂમાં પ્રથમ મનાય છે. તેમનાં ઉપરાંત વજહી, હાશમી અને નુસરતી પણ જાણીતા શાયરો હતાં. તેમાં સૌથી ધ્યાનાકર્ષક વલી દકની જ હતાં. તેમ્અનો જન્મ ઈ. સ. 1667માં ઔરંગાબાદ ખાતે થયો હતો. તેમની ઈ.સ. 1700ની દિલ્હીની મુલાકાત ઐતિહાસિક સાબિત થઈ, અને તેમની ઉર્દૂ રચનાઓ દિલ્હીના ફારસી શાયરોનો આદર-સત્કાર પામી. આ મુલાકાતના પરિણામે, ઉત્તર અને દ્ખ્ખ્ણની સાહિત્યીક ધારાનું સંમિલન થયું અને આ પછી ઉત્તરમાં પણ ઉર્દૂ ગઝલોની વિકાસ અને પ્રસાર ઝડપથી થયાં. હા, વલી દકની ઈ.સ. 1707માં અમદાવાદ આવ્યાં અને તે જ વર્ષે ત્યાં જ તેમનું અવસાન થયું અને તેમને અમદાવાદમાં જ દફનાવાયા.

    હવે ‘ગઝલ’ શબ્દના અર્થની વાત કરીએ તો, ખ્યાતનામ શાયર આગા શાહિદ અલી પ્રમાણે, ‘અરેબિકમાં, શિકારનો ભોગ બનેલાં હરણને ખાતરી થઈ જાય કે હવે તેનો અંત નજીક અને નક્કી છે, ત્યારે નીકળતી ચીસ એટલે ગઝલ. સર્જક અને સર્જન એટલે કે શાયર અને ગઝલ બન્નેમાંથી કોઈ એક શિકારી અને એક શિકારના ભાવમાં હોય છે, અને આ ભાવ કે રૉલ ગઝલ પૂર્ણ થાય ત્યાં સુધી જારી રહે છે. ઉપરાંત, અરેબિકમાં જ ‘ગઝલ’ ના અન્ય અર્થોમાં ‘પ્રિયતમા સાથે ગૂફ્તગુ’ નો ચોક્ક્સ સમાવેશ થાય છે.

    ‘ગુજરાતીમાં ગઝલ’ ના પ્રારંભમાં જ લખ્યું છે કે આ મારી ગઝલ વિષેની વ્યાપક નોંધનો એક ભાગ છે. મેં ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદનાં ખૂબ જ પુરાણા ને વિરલ પુસ્તકોને મદદ લીધી છે. એમાનાં લગભગ બધાં જ પુસ્તકો અત્યારે બહાર ઉપલબ્ધ નથી. ઉપરાંત, ઘણાં બધાં અંગ્રેજી પુસ્તકોની મદદ પણ લીધી છે.

    મને ગઝલનો રંગ ગુજરાતી સાહિત્યના રંગ કરતા ઘણો વહેલો લાગ્યો છે. આ માટે 1985માં જેતપુરમાં મેં સૈયદ સલાહુદ્દીન કાદરી પાસેથી ઉર્દૂ શીખી. અત્યારે હું પવિત્ર કુરાનનો ગેય ગુજરાતીમાં અનુવાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. કાચો ડ્રાફ્ટ છે અને હજું નિષ્ણાંત મૌલવીનો અભિપ્રાય બાકી છે, એટલે અહીં મુકતો નથી. જો આપ મદદ કરી શકો તો આનંદ થશે અને આભારી રહીશ.

    આપે દાખવેલ રસ-રુચિથી અતિશય આનંદ થયો.

    -જયદીપ.


Leave a response

Your response:

Categories