કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for January, 2007

પતંગ?

Posted by સુરેશ on January 27, 2007

ઢઢ્ઢો જો ટટ્ટાર, ઊભો રે’,
ફસક્યો તો તે પણ ફસકે છે,
છે કમાન તો પહોળી છાતી,
ને છટકી તો નહીં કોઇનો,

જાતજાતના રંગ રૂપ છે,
નાના મોટા કંઇ માપ છે.
કોઇ પાવલો, કોઇ અડધીયો
પટાદાર વળી આંખેદાર છે,

કોઇ ઘેંસીયો, કોઇ ફૂદડીયો
કોઇ ઝીલ, કોઇ મંગેદાર છે.
હોય મોટો એ ભડભાદર તો,
કંઇ ટુક્કલને સ્હેલ દેત છે.

કન્ના બાંધો તો જ કાબુમાં,
નહીં દોર તો વહે લ્હેરમાં
ગીન્નાયો તો વજન માંગતો,
ઘવાય તો પટ્ટા માગે છે.

પવન પડે તો આવે પાછો,
ઠમકા મારે રહે હવામાં,
બીન હવામાં ગોથ મારતો,
પવન ભરાય તો ફાટી જાય છે.

ઢીલે પેચ લે, વળી ખેંચીને,
શત્રુને તે મા’ત કરે છે.
કદી પેચમાં કપાઇ જાતો
સમીર સાથ તે વહી જાય છે.

કહી વારતા ચતુર સુજાણ સૌ !
પતંગની કે મારી તમારી ?

-    ‘સર્જન સહીયારું’ પર તા. 25 જાન્યુઆરી, 2007 ના રોજ

Posted in સુરેશ | 3 Comments »

એ શું? - સુરેશ જાની, Suresh Jani

Posted by સુરેશ on January 19, 2007

આમ તો રોજ સૂતા પહેલાં,
જોતો હતો
સાવ ઘટના વિહીન,
કોઇ નોંધ કે પ્રાણ
કે કવિતા વિના …

રાતની નિર્જન શાંતિમાં,
પાછળ આવેલા,
થોડીક ઊંચાઇ પરના,
પાડોશીના ઘર
અને અમારી વચ્ચે,
કાળી ધબ લાકડાની વાડની,
ફાટોની વચ્ચેથી,
ચળાઇ આવતી,
નિર્જીવ, પીળાશ પડતા
કેસરી રંગની ફીક્કી,
એ જ વીજળીની બત્તી.

અને કોઇ પ્રાણ વિના,
પાનખરના ઝપાટે  ખરેલાં
પાનના વિયોગમાં આક્રંદ કરતી,
તે બતીના ફીક્કા પ્રકાશથી,
અંધારામાં થોડી ઉજાસાતી
ઓકના ઝાડની એ જ
સાવ નિર્વસ્ત્ર ડાળીઓ.

પણ ……

કાલે જોયું મેં એક દર્શન,
અભૂતપૂર્વ, અવર્ણનીય,
કોઇ કવિતામાં કદી ન વાંચેલું.

એ જ સૂમસામ ઘર
એ જ નિસ્તબ્ધ શાંતિ,
એ જ કાળી ધબ્બ,
લાકડાની વાડ ની ફાટો,
એ જ નિષ્પ્રાણ વૃક્ષ,
એ જ પીળો ચટ,
નીરસ પ્રકાશ વેરતી
એ જ વીજળીની બત્તી,

પણ …..

એ જ પીળો ચટ્ટ પ્રકાશ,
ઉજાળી રહ્યો હતો,
એ જ નિષ્પ્રાણ ડાળીઓ પર,
થીજી ગયેલાં
વર્ષાબિંદુઓને.
અને એ જ પીળો ચટ્ટ
સાવ પ્રાણ વિહીન
પ્રકાશનો ટૂકડો,
બની ગયો હતો…..

અગણિત, સોનેરી,
આભની અસંખ્ય તારલીઓ સમ,
કાળા ધબ પાર્શ્વમાં, ઝળહળતી,
દેદીપ્યમાન, પ્રકાશ કણિકાઓનો
ઝળહળતો પુંજ.

અને મુગ્ધ મને પૂછ્યુ…

”એ શું?”

———————————–

(   14 જાન્યુઆરી- 2007 ના રોજ ‘સર્જન સહીયારું’ પર પ્રકાશિત મારું પ્રથમ અછાંદસ કાવ્ય.)

જવાબ  -    છેલ્લી બે લીટી બાદ કરતાં -  શિયાળાની રાતે 26 અંશ ફેરનહીટે તરત પડેલા વરસાદને કારણે થીજી ગયેલી હીમ કણિકાઓ !!

છેલ્લી બે લીટીના જવાબ માટે વાંચો -

એ શું ?   - ‘અંતરની વાણી’ ઉપર…..

Posted in સુરેશ | No Comments »

મુકતક

Posted by સુરેશ on January 12, 2007

મુકતક
લખ્યા’તા પ્રેમપત્રો જ્યાં, સપન આકાશ ઉડવાના,
ભમ્યા ઉપવન, કર્યો કિલ્લોલ, મહેંકી પ્રેમકુંજો જ્યાં,
પ્રણયકેલિથી મઘમઘતા, ખયાલો બાલ-સર્જનના,
વકીલે પાઠવી નોટીસ, છૂટા પડવાની, હા! એ શું ?

- સુરેશ જાની

( ‘સર્જન સહીયારું’ માં તા. 10 જાન્યુઆરી - 2007  ના દિને પ્રકાશિત.

Posted in મુકતક, સુરેશ | No Comments »

ગુજરાતી બ્લોગ જગતમાં એક આવકાર્ય ઘટના – ‘તરકશ એવોર્ડ’

Posted by સુરેશ on January 11, 2007

      tarkash_award_gold.jpg                               tarkash_award_silver.jpg                                  tarkash_award_bronze.jpg

         તા. 7 , જાન્યુઆરી- 2007, રવિવારના રોજ 2006ના વર્ષ માટેનો ‘ તરકશ’ એવોર્ડ ‘ જાહેર કરવામાં આવ્યો ; એ એક આવકાર્ય અને અભૂતપૂર્વ ઘટના છે. પૂર્વ-નિર્ધારિત નીચે જણાવેલ સાત બ્લોગરોમાંથી વાચકોના મતના આધારે આ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો.

1. અમિત પીસાવાડીયા - ઉપલેટા
2. ‘ઉર્મીસાગર’ - ન્યુ જર્સી
3. જયશ્રી ભક્ત - લોસ એંજેલસ
4. નીલમ દોશી - કલકત્તા
5. સુરેશ જાની - ડલાસ
7. ડો. વિવેક ટેલર - સુરત

ઉપરોક્ત બ્લોગરોમાંથી વિશ્વવ્યાપી લોકમતના આધારે નીચે મુજબ એવોર્ડ જાહેર કરવામાં આવ્યા હતા : -

1. સુવર્ણ કલમ – જયશ્રી ભક્ત/ સુરેશ જાની
2. રજત કલમ – ડો. વિવિક ટેલર
3. કાંસ્ય કલમ – ‘ઉર્મીસાગર’

             આ એવોર્ડ અમદાવાદના હિન્દી/ ગુજરાતી ભાષી યુવાન મિત્રો પંકજ બેંગાણી, સંજય બેંગાણી, સમીરલાલ અને રવિ કામદારના ભેજાની પેદાશ છે!  તેમની વેબ સાઇટ ‘ તરકશ ‘ ઓગસ્ટ - 2005 માં શરુ કરવામાં આવી હતી. તેમણે આવો જ એવોર્ડ હિન્દી બ્લોગરોને પણ અર્પ્યો છે. આવું કંઇક કરવું જોઇએ તેવી તેમની ભાવના માટે સૌ બ્લોગરો તેમના ઋણી રહેશે. ગુજરાતી બ્લોગરો અને વાચકોના ઉત્સાહને બળવત્તર બનાવનાર આ પ્રયત્ન ખરેખર બીરદાવવા લાયક છે. બ્લોગરોના સ્વયંસ્ફુરિત જોમને આથી ખૂબ સારો ટેકો મળશે તે વાત નિર્વિવાદ છે.

              કદાચ આ એવોર્ડના નિયમો અને પધ્ધતિમાં સુધારાને અવકાશ હશે. બધા બ્લોગોને આમાં સ્થાન મળવું જોઇતું હતું. અને નિર્ણયની પ્રક્રિયા પણ સુધારી શકાઇ હોત - જેમકે કોઇ પણ બ્લોગરને મળેલા ત્રણે વિભાગોના મતોને વજનવાર ગુણાંક આપવામાં આવ્યા હોત તો બધા મતોને યોગ્ય પ્રતિનિધિત્વ મળત. આપવામાં આવેલા મતોના આધારે, દેખીતી રીતે માત્ર જયશ્રી ભક્ત જ ‘સુવર્ણ કલમ એવોર્ડને માટે સૌથી  યોગ્ય બ્લોગર છે.
             એ જણાવવાની પણ તક લઉં છું કે, આ ટીમે ‘ ઓટલો ’ જેવી સરસ બ્લોગ - સીન્ડીકેશનની વેબ સાઇટ બનાવીને વિશ્વ ગુજરાતી સમાજની ઘણી સેવા કરી છે. તેમણે હિન્દી બ્લોગરો માટેના ટ્યુટર  પણ બનાવ્યા છે જે, ગુજરાતી બ્લોગરો પણ વાપરી શકે છે. તેમના દ્વારા પ્રસંગોપાત્ અપાતા ગુજરાતી બ્લોગોના રીવ્યૂ પણ વિવેચનની એક નવી ભાત પાડી જાય છે. 
             કોઇને થશે કે, આ લખનારને પ્રથમ એવોર્ડ મળ્યો છે માટે આ પ્રશંસા કરવામાં આવે છે. પરંતુ, આને કોઇના વ્યક્તિગત વિજય તરીકે મૂલવવા કરતાં આ ઘટનાથી ગુજરાતી બ્લોગીંગની પ્રક્રિયાનો વિજય થયો છે, તેને એક નવું પરિમાણ મળ્યું છે - તે અગત્યનું છે ; તે બહુ જ આવકારદાયક છે. ભાગ લેનાર સૌ મિત્રો જ છે; ‘ગમતાનો ગુલાલ’  કરવાની ફિલસુફીમાં માને છે અને  આનંદથી એકમેકની સાથે આ પ્રવૃત્તિની સાંકળથી જોડાયેલા છે. આ તો સૌને માટે આનંદની ઘટના છે.
           આ પ્રથમ પ્રયત્ન માટે તરકશ ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ. ભવિષ્યમાં પણ તરકશ ટીમ દર વર્ષે પૂરતો સમય સૌને આપીને અને એવોર્ડની સમગ્ર પ્રક્રિયાનું પુનર્મૂલ્યાંકન કરીને આ એવોર્ડને વધારે ને વધારે દેદીપ્યમાન બનાવે તેવી શુભ કામના ….

Posted in સમાચાર | 2 Comments »

ગોવર્ધનરામ ત્રિપાઠી ની પૂણ્યતીથિ, Govardhanram Ttripathi

Posted by સુરેશ on January 5, 2007

આજે તા. 4 જાન્યુઆરી - 2007  આપણા સૌને માટે બહુ જ યાદગાર દિવસ હોવો જોઇએ.
આજથી સો વર્ષ પહેલાં ગુજરાતી સાહિત્યની આ વિરલ વિભૂતિએ મુંબાઇમાં ચીર વિદાય લીધી હતી. ગુજરાત તેમને તેમની અમર કૃતિ ‘ સરસ્વતીચન્દ્ર’ માટે હંમેશ યાદ કરશે.

તેમનું બહુ  જ જાણીતું વાક્ય ” ઘેલી મારી કુસુમ ! “   - અમર પાત્ર  કુમુદસુંદરીના મુખે

તેમના વિશે વધુ જાણો -

અવનિ પરથી નભ ચઢ્યું વારિ, પડે જ પાછું ત્યાં ને ત્યાં ”

- જીવનઝાંખી

Posted in સમાચાર | No Comments »