સહ પ્રવાસી
Posted by સુરેશ on March 2, 2007
( ઈન્દ્રવજ્રા)
ભાઈ જુગલ! યાદ મને ય આવે,
પાટાની સામે આપણ ઉભેલા.
કાશી જવાની કરી યોજના તેં,
મારા મજુરો હરખે ઘણાયે.
હું, તું, જુદા રાહ હતા ભલેને,
ભવાટવીમાં ભટક્યા ઘણાયે,
તાપો સહ્યા જીવન જાતરાના,
કદી વીસાર્યા નીજ મુલ્ય ના ના.
કાવ્યો તજીને વીલસ્યો તું જ્યારે,
સાબરમતી જેલ મહીં તું ત્યારે,
છોડી બધી યે દુનીયા કવીતની,
વીજ્ઞાન વાટે વીચર્યો હું જાની.
આજે મળ્યા બે જણ સહ-પ્રવાસી,
સાથે મળીને કવીતા આ ગાઇ.
મારા નવા મીત્ર જુગલકીશોરની જીવનકથા વાંચી ઉભરેલા ભાવમાં, વહેલી સવારે આ કવીતા પ્રગટી.
2 માર્ચ - 2007
March 2, 2007 at 8:57 am
બહુ જ સરસ લખાઈ છે, દાદા.
March 2, 2007 at 10:18 am
મહા કવિ ! તમારી કવિતા સમજાઈ નહીં !
( મહાકવિની ન જ સમજાય ! ) તમે જુગલને કાશીએ મોકલ્યો ! એને જેલમાંય મોકલ્યો ! આ બધું શું છે ?!
ઉંઘમાંથી જાગીને લખી તેથી છંદમાં ભૂલો પડે તે સમજાય પણ બાકીનાનું શું ? સ્પસ્ટતા કરો નહીંતર મારી માથે છાણાં થપાશે. જુ.
March 2, 2007 at 10:22 am
વો ભુલી દાસ્તાઁ લો ફીર યાદ આ ગઈ
નજરકે સામને ઘટાસી છા ગઈ
March 2, 2007 at 10:57 am
તમે દિધો રે યશ મૈત્રિને ઘણો.
આભાર માની શકું ના હું એનો !
ભાવે ભર્યા, ઊંઘમહીં સર્યા હતા (ઇન્દ્રવંશા)
એમાં અચિંતા રચના કરી ને
આ એટલે કેટલી ભૂલ કીધી !
જાણો તમે,ભાઈ, સુરેશદાદા !
સુરેશજી, આપણ બેઉ સાથે (ઉપે.)
આજે અહીં નેટ પરે મળ્યા અહો! (ઇન્દ્રવંશા)
ના જાણતું કોઈ જ કાશિ અંગે
ને ના કંઈ જેલ વિષે ભલા ભૈ !
શો અર્થનો થાય અનર્થ ભાઈ !
તમે કર્યો ભારિ ડખો અહીં,જુઓ : (વંશસ્થ)
કૈં કેટલી પંક્તિ મહીં કરી છે
ભૂલો મઝાની બહુ છંદ કેરી.
કા.શિ .કહેતાં થયું “કામદાર-
શિક્ષા” તણું કેન્દ્ર જ ‘કા’,'શિ’,સાચું ?
ને જેલમાં જાઉં ભણાવવાને
સૌ કેદીઓને.બસ એમ ક્ હોને !
…….
બાકી બધુ કાલ, થયો સુવાનો
ટાઈમ આજે, બસ આવજો,હું
આભાર માની વિરમું અહીં જ !
(નોંધ : આ છંદમાં વાર્તાલાપો કરવાનું સલાહભર્યું નથી. આ કવિતા તો નથી જ પણ પદ્ય પણ નથી ને જોડકણાંય નથી ! આ તો છે ફક્ત છંદની માત્રાઓ ને અક્ષરમેળ કરવાની રમત કે પ્રેક્ટીસ ! કોઈ ગેરસમજ ન થાય તે જોજો.જુ.)
March 2, 2007 at 10:07 pm
બે સ્પષ્ટતા
1.
કાશી જવાની કરી યોજના તેં,
મારા મજૂરો હરખે ઘણાયે.
આમાં કાશીનું રહસ્ય એ છે કે, જુગલકિશોર જે સંસ્થામાં કામ કરતા હતા તેનું નામ કામદાર શિક્ષણ યોજના હતું . અને કારીગરો અને મજૂરો તેને કાશી યોજના કહેતા. તેના એક ભાગ તરીકે ભાગ લેનાર કામદારોને ટૂર પર મોકલવામાં આવતા અને બધાને તે લાભ મળતો !
2.
ભાઇ જુગલ! યાદ મને ય આવે,
પાટાની સામે આપણ ઊભેલા.
–
કાવ્યો તજીને વિલસ્યો તું જ્યારે,
સાબરમતી જેલ મહીં તું ત્યારે,
આ જ યોજના અંતર્ગત તેમનો એક પ્રોજેક્ટ સાબરમતી જેલમાં હતો. પાટાની એક બાજુ જેલ અને બીજી બાજુ અમારું પાવર સ્ટેશન . આમ અમે પાટાની સામસામે થોડોક વખત રહ્યા હતા, પણ તે વખતે અમારો પરિચય થયો ન હતો.
March 2, 2007 at 10:24 pm
દાદા, સરસ લખ્યું છે…
પણ મને તો ખાસ મજા-
જુગલકાકાની ‘ગેરસમજ’ની વ્યથા અને તમારી સ્પષ્ટતા માણવાની આવી!
March 3, 2007 at 12:56 am
આ છોકરી ગમે ત્યાંથી પ્રગટી જાય છે ! સાગરભર્યું એનું ભાવજગત સૌને વહેંચતી રહે છે. તારી વાત સાવ સાચી છે,બેના ! મને ઘડીભર આવી ગયેલી મુઝવણને કેવી ઝીલી લીધી !
આને જ જરા વધુ ઉંડાણમાં લઈ જઈએ ને બેન, તો મનુભાઈ ‘દર્શક’( મારા ગુરુજી ) કહે છે તે સમસંવેદન જે ભાગ્યશાળીને જ મળતું હોય છે,તે મહા વરદાન પ્રાપ્ત થઈ જાય ! કવિ આ સમસંવેદનનો જ જીવ છે પરંતુ દર્શક કહે છે તે તો એનાથીય અનેકગણું ઉંચું છે : રામકૃષ્ણને આ વરદાન હતું. ગાંધીને ય આ વરદાન હતું.સૌરાષ્રના એક સંત જેમને સીમમાં પાડાને તીર વાગ્યું તો પોતાના શરીરે લોહીના રેલા હાલ્યા !!
આ સમસંવેદન આપણા સૌનું લક્ષ હજો !!
એક જ રેલની પટરીની સામસામે રહ્યા પણ ઓળખ્યા નહી ને જ્યારે ઓળખ્યા ત્યારે ધરતીને સામસામે છેડે આવીને ઉભા છીએ ! આ નેટડો આપણને સાંધનારો બન્યો ! નહીંતર ક્યાં મારા જેવો (રિ)ટાયર્ડ માણસ ને ક્યાં આ તમારા સૌનું સાહિત્યજગત ! ઉ.બેન ! તમને ખૂબ બધા વંદન.નાના પણ આંતરિક ઉંચાઈએ પહોંચીને વંદનાના અધિકારી બને છે. અમિત અને જયુબેન હમણાંના મૌન છે.સુરેશભાઈ તો યવાન જ થતા જાય છે ને શું.બાકી હતું તે જયુભાઈ પણ આવ્યા !
અરે હા, યાદ આવ્યું. તમે કોઈએ ” પૌત્ર જય” કાવ્યને મૂલવ્યું નહીં ! એખરેખર મૂલવવા જેવું હતું.રાતે ત્રણ વાગે જાગી ગયો ને એ સાત વરસના કવિને અપાયેલ શાબાશી તરફ ધ્યાન જ નથી ગયું કે શું ? એના શબ્દો એનો લય,એની ભાવગૂંથણી, પ્રાસ, અંતરાઓની યોજના,મધ્યાનુપ્રાસ વગેરે દાદાને માટે તો ખાસ હતા પણ બીજી ધમાલમાં એ ગયું !!