( ઇન્દ્ર વંશા )
————————————
કીધું અમે આપ નકી પધારજો,
સાથે મિઠાઇ, નમકીન લાવજો.
સાથે ફરીશું, મિજલસ જમાવશું,
મસ્તી, મજા, ને મનને હળાવશું.
આવ્યા તમે ને ચીટકી ભલા ગયા,
વિચાર ના લો કદી યે જવા તણો.
મારા જ ઘરને ગણી આપ આપનું,
કેવા તમે છો દિલથી મહાન હા !
શોધી રહ્યો હું જુગતિ નવી નવી,
વિદાય શેંથી કરવી ભવાનની !
વિચાર્યું કે નોંતરું કો બિમારીને,
કામે જવાનું પરગામ શોધીને.
આપે કહ્યું “ જા તું નચિંત શાંતિથી.
હું સાચવીશ આ ઘર તારું શાનથી !”
હવે તમારી કરવી શી પેરવી,
એના વિચારે મુજને સતામણી !
બોલો તમે ભાઇ બહુ સુજાણ છો.
મે’માનનું શું કરવું વિચારજો !
- સુરેશ જાની
‘ સર્જન સહીયારું ‘ પર તા. 9 - માર્ચ , 2007 ના રોજ પહેલી વાર પ્રકાશિત