યાદ છે એ પહેલી નજરની,
જયારે તે પાંપણો ઢળી ગઈ.
ઘણીયે મળી એ નજરો અને
નજર આગળથી જ સરી ગઈ.
કહી ગઈ ઘણીયે વાતો
જે યાદો બનીને જ રહી ગઈ.
રહી ગઈ સૌ મનની મુરાદો
મનની મનમાં જ રહી ગઈ.
લખવી હતી બધીયે વાતો,
ને ખડીયેથી શાહી જ ઢળી ગઈ.
બંધ આંખોની તે મુક કહાની
સૌ બંધ ઘડામાં જ રહી ગઈ.
ઉમ્રભર કરી પ્રતીક્ષા અને
હવે તે ઉંમર પણ વહી ગઈ.
સમજ જે હવે પાકી થઈ તે
બધી યાદોમાંથી જ થઈ ગઈ.
સ્વીકારજે છેલ્લું હવે આ આલીંગન
અર્પું જે મુજ અસ્તીત્વ હોમી દઈ.
(સુરતથી વડોદરા ટ્રેન સફરમાં–૨૮–૦૯–૧૯૮૬)
- અરુણ દેસાઈ
સુરતના એક નીવૃત્ત ઈજનેર શ્રી અરુણ દેસાઈ હાલ ૮૪ વર્ષના છે. તેમની અંગત ડાયરીમાં ૨૨૩ જેટલાં કાવ્યો જોવા મળ્યા. જુદા જુદા અંગત પ્રસંગોએ, પ્રવાસ દરમ્યાન ટ્રેન, બસ કે રીક્ષામાં બેસીને ઝીણાંઝીણાં અવલોકનો પરથી લખાયેલા આ કાવ્યોમાં છંદ ક્યાંય નથી, બસ છે અનુભવો અને લાગણીઓનો નીચોડ. ભાવપુર્વક લખાયેલા કાવ્યો તેમણે કશે પ્રગટ કરવાની તમન્ના રાખી નથી. છતાં મીત્ર શ્રી કાર્તીક દેસાઈના સૌજન્યથી મને ગમ્યાં તે કાવ્યોને મોકલું છું.
- સુનીલ શાહ