કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for the 'ગઝલ' Category


તરસ - જયેશ ઉપાધ્યાય

Posted by સુરેશ on April 13, 2008

એક ચાંગળુ આપણો સમય
ને જીદંગી બેહીસાબ તરસ.

યાદોં,  સ્મૃતી, અતીત સાવ નકામું
ફાટેલી આંખોમાં ખ્વાબ તરસ.

તને મોકલી અનરાધાર હેલી
ને આવે તારો જવાબ તરસ.

જીવાતા શ્વાસોનો આ દબદબો
ને આપણો અસબાબ તરસ.

- જયેશ ઉપાધ્યાય

Posted in ગઝલ, જયેશ ઉપાધ્યાય | No Comments »

સાથ લઈને બેઠો છું - રાજેન્દ્ર ત્રીવેદી

Posted by સુરેશ on March 16, 2008

શબ્દોનો આ કોશ લઈને ખાલી ખાલી બેઠો છું.
ભાશાની ભરમાળ નીરખવા, અમથો આમ જ બેઠો છું.

ભાશાની ભરમાળ મહીં હું ગીતો, ગઝલો પેશ કરું છું.
નીસ્પ્રુહ બનવાની વાતો સૌ વાગોળીને બેઠો છું. 

તર્ક, વીતર્ક, કોઇ કારણ વીણ હું નીજાનંદને માણું છું.
શરુઆત છે સમાધીની, આ શ્વાસ - પ્રાણમાં બેઠો છું. 

પ્રભુ પ્રાર્થના પ્રાણ છે મારો, તુજ ઈમેલમાં જાન છે મારો,
જુગલ, દીનેશ,  સુરેશ સહુને સાથે રાખી બેઠો છું. 

શુઁ કહું, નીશ દીન આપ સહુનો સાથ હમેશાં ચાહું છું
પ્રેમ, પ્રભુ ને રાજ, ગીતાનો સાથ લઈને બેઠો છું.

-  માર્ચ ૧૪ ૨૦૦૮, બોસ્ટન , રાજેન્દ્ર ત્રીવેદી

Posted in ગઝલ, રાજેન્દ્ર ત્રીવેદી | 7 Comments »

હુંમાં હું રહ્યો નથી- અરુણ દેસાઈ

Posted by સુરેશ on December 17, 2007

પામ્યો સ્થાન તુજ હ્રદયે જેવો, પછી હું ગયો નથી,
તારા મનથી ઉતરીને માનજે, કદી હું રહ્યો નથી.

પામવા તને જ મુજ મહીં, બહાર હું ગયો નથી,
તારા તલસાટ વગરની એક્કેય ક્ષણ હું રહ્યો નથી.

શોધવા ચંદ્ર કે સુર્યને વળી કદી હું ગયો નથી,
તો એ તેઓની કૃપા વગર કદીય હું રહ્યો નથી.

સ્થળ પર જ સ્થીર થવા કાજે બીજે હું ગયો નથી,
પ્રેમ વર્ષાના અંગીમ એ જળ વગર હું રહ્યો નથી.

જાણવા તારી આ અનોખી લીલા કદી હું ગયો નથી,
સહજ ભાવે સૌ તે લીલા માણ્યા વગર હું રહ્યો નથી.

ચંચળ મનને સ્થીર કરવા બીજે હું ગયો નથી,
તુજમાં સ્થીર થયા પછી હવે હુંમાં હું રહ્યો નથી.

(૧૬–૦૧–૧૯૮૭)

- અરુણ દેસાઈ

Posted in અરુણ દેસાઈ, ગઝલ | 2 Comments »

હોમી દઈ - અરુણ દેસાઈ

Posted by સુરેશ on December 14, 2007

યાદ છે એ પહેલી નજરની,
જયારે તે પાંપણો ઢળી ગઈ.

ઘણીયે મળી એ નજરો અને
નજર આગળથી જ સરી ગઈ.

કહી ગઈ ઘણીયે વાતો
જે યાદો બનીને જ રહી ગઈ.

રહી ગઈ સૌ મનની મુરાદો
મનની મનમાં જ રહી ગઈ.

લખવી હતી બધીયે વાતો,
ને ખડીયેથી શાહી જ ઢળી ગઈ.

બંધ આંખોની તે મુક કહાની
સૌ બંધ ઘડામાં જ રહી ગઈ.

ઉમ્રભર કરી પ્રતીક્ષા અને
હવે તે ઉંમર પણ વહી ગઈ.

સમજ જે હવે પાકી થઈ તે
બધી યાદોમાંથી જ થઈ ગઈ.

સ્વીકારજે છેલ્લું હવે આ આલીંગન
અર્પું જે મુજ અસ્તીત્વ હોમી દઈ.

(સુરતથી વડોદરા ટ્રેન સફરમાં–૨૮–૦૯–૧૯૮૬)

અરુણ દેસાઈ

        સુરતના એક નીવૃત્ત ઈજનેર શ્રી અરુણ દેસાઈ હાલ ૮૪ વર્ષના છે. તેમની અંગત ડાયરીમાં ૨૨૩ જેટલાં કાવ્યો જોવા મળ્યા. જુદા જુદા અંગત પ્રસંગોએ, પ્રવાસ દરમ્યાન ટ્રેન, બસ કે રીક્ષામાં બેસીને ઝીણાંઝીણાં અવલોકનો પરથી લખાયેલા આ કાવ્યોમાં છંદ ક્યાંય નથી, બસ છે અનુભવો અને લાગણીઓનો નીચોડ. ભાવપુર્વક લખાયેલા કાવ્યો તેમણે કશે પ્રગટ કરવાની તમન્ના રાખી નથી. છતાં મીત્ર શ્રી કાર્તીક દેસાઈના સૌજન્યથી મને ગમ્યાં તે કાવ્યોને મોકલું છું.

-  સુનીલ શાહ

Posted in અરુણ દેસાઈ, ગઝલ | 3 Comments »

એક તું મળી - સુનીલ શાહ

Posted by સુરેશ on November 26, 2007

ગાગાલગા
—————————
એક તું મળી,
નજરો ઢળી.

હર મોડ પર
ઈચ્છા ફળી.

દીલને ફરી
કળ તો વળી.

‘શુન્ય’ બની
‘એક’ પર ઢળી.

છેવટ સુધી
દઢ નીકળી!

- સુનીલ શાહ

Posted in ગઝલ, સુનીલ શાહ | 1 Comment »

ઉદાસી ઘણી છે, છતાં હું હસું છું - વીજેશ શુકલ

Posted by સુરેશ on November 13, 2007

લગાગા લગાગા લગાગા લગાગા

——————————————–

ઉદાસી ઘણી છે, છતાં હું હસું છું
તરાપો ભલે ના રહે, હું તરું છું.

સહારાય ખુટે ભલા આદમીના,
ઉપેક્ષા મળે પણ, ઘણું યે હળું છું.

પહેરા નડે છે, મને આ પથોમાં,
હદોને વટાવી બધાંને મળું છું.

મકામો ભલે ને ઘણાં દુર લાગે,
હતાશા વીના હું ડગો તો ભરું છું.

રચે છે જમાનો પ્રપંચો ઘણાયે,
ભરોસો ખુદાનો કરીને રહું છું.

- વીજેશ શુકલ

મને ગઝલના છંદ હજુ આવડ્યા નથી. પણ આ છંદ સંસ્કૃતનો ભુજંગી છંદ જ છે.

‘ય’ ના ચાર આવર્તનોથી ભુજંગી.
પછી શું? પછી શું? પછી શું? પછી શું?

ભુજંગી છંદમાં જગન્નાથ પંડીતનો એક બહુ જ જાણીતો શ્લોક -

कुसुम्भारुणम् चारु चैलम् दधाना ।
समस्तस्य विश्वस्य चेतः प्रधाना ।
न याचे गजालिम् न वाजिराजिम् ।
न वित्तेषू चित्तम् मदीयम् कदाचित् ।
इयम् सुस्तनी, मस्त, कन्धस्थकुम्भा।
लवंगी, कुरंगी, मदंगी करोतु

       સમ્રાટ અકબરના વખતમાં થઈ ગયેલ આ પંડીત એક મુસ્લીમ રાજકન્યા ‘લવંગી’ ના મોહમાં પડી ગયા હતા. ત્યારે બાદશાહ પાસે તેના હાથની માંગણી, આ શ્લોક દ્વારા તેમણે કરી હતી, અને એમ કહેવાય છે કે બાદશાહે તેમના   કવીત્વ પર વારી જઈને કુંવરી પરણાવેલી પણ ખરી. આ શ્લોકમાં વર્ણાનુપ્રાસ અને શબ્દાનુપ્રાસની ઝમક માણવા જેવી છે. આ કારણે પંડીતને સમાજે નાતબહાર કરેલા અને છેવટે તેમણે ગંગાનદીમાં જળસમાધી લીધી હતી.  

       તેમની પ્રસીદ્ધ રચના ‘ગંગાલહરી’ આવા પ્રાસાનુપ્રાસો અને ભવ્ય ઉપમાઓથી પ્રચુર છે.

Posted in ગઝલ, વીજેશ શુક્લ | 6 Comments »

બની જાઉં છું હું - સુનીલ શાહ

Posted by સુરેશ on November 11, 2007

લગાગા લગાગા લગાગા લગાગા
———————————-

કદી આમ કાગળ બની જાઉં છું હું.
હવા જોઈ વાદળ બની જાઉં છું હું.

શ્વસી તો રહ્યો છું ફુલોના એ સ્પર્શે.
ને તક જોઈ ઝાકળ બની જાઉં છું હું.

અગર આંખને જો સજા’વી પડે તો.
ઘણીવાર કાજળ બની જાઉં છું હું.

સમજ છે, ને રસ્તો સરળ છે, છતાંયે
કદી કોઈ આગળ ‘બની’ જાઉં છું હું.

દીલો જોડવાની શરત મારીએ ત્યાં
ફરીવાર અટકળ બની જાઉં છું હું.

સુનીલ શાહ

Posted in ગઝલ, સુનીલ શાહ | 7 Comments »

ફરી જાઉં છું - સુનીલ શાહ

Posted by સુરેશ on November 9, 2007

છંદ -  મુત્કારીબ ૧૮
છંદ વીધાન -  લગાગા લગાગા લગાગા લગા
રાગ -  સુહાના સફર ઔર યે મોસમ હસીં
————————————

ઉઠું છું, ને ત્યાં તો, ઢળી જાઉં છું,
જમાનો કહે છે, ખરી જાઉં છું.

નડે છે, તણખલું મને તો હવે,
ખરે પાન, ને હું મરી જાઉં છું.

ઝીલું છું, વરસતા એ બુંદો હજી,
છતાં, કોણ જાણે , બળી જાઉં છું.

અધુરપ સમયની નડી છે મને,
ગણું છું ક્ષણો, ને ડરી જાઉં છું.

ને પડકાર ઝીલી લઉં છું હવે,
ભલે કોઈ બોલે, ફરી જાઉં છું.

સુનીલ શાહ

     અહીં જીવનની ક્ષણભંગુરતાનું દર્શન અને સંવેદનશીલતાની વ્યથા સુનીલભાઈ અહીં બહુ કલાત્મક અને સચોટ રીતે કહી જાય છે. અને છતાં પણ, અંતીમ શેરમાં આ પડકારો ઝીલવાની અને ફરીથી એ સંગ્રામમાં ઝઝુમવાની ખુમારી સરસ રીતે અભીવ્યક્તી પામી છે.

Posted in ગઝલ, સુનીલ શાહ | 3 Comments »

મથું છું હવે - વીજેશ શુક્લ

Posted by સુરેશ on November 7, 2007

લગાગા લગાગા લગાગા લગા
—————————-
 
તમારી કસોટી કરું છું હવે,
જીવનને સલામી ભરું છું હવે.
 
ઘણાયે ઉકેલો મળે છે મને,
છતાં જાત સાથે લડું છું હવે.
 
લગાવી મહોરાં ફરું છું સદા,
નવાં નામથી તો મળું છું હવે.
 
વીતાવી દીધી છે, સરકતી પળો,
સમયની નજરથી બચું છું હવેં.
 
કદી તો ઉદાસી નડે છે મને,
સહારા બચા’વા મથું છું હવે.
 
- વીજેશ શુક્લ

       વીજેશભાઈ ઘણા વખત પછી અહીં પાછા આવ્યા છે. તેમની મથામણ સફળ બની છે! 

        ઉકેલો મળવા છતાં જાત સાથે લડવાની તેમની વાત મને બહુ જ ગમી.  ‘ संतोषमेव पुरुषस्य परं निधानम् ‘ ની સતત શીખ આપતાં આપણાં ધર્મશાસ્ત્રોનું સાચું અર્થઘટન તેમણે કર્યું છે. ઉકેલ મળે એટલે અટકી જવું એ તો માનવસ્વભાવ છે. તેનાથી ઉપરવટ થાય તો જ મહામાનવતા સર્જાય. સંતોશ કેવળ ફળનો જ હોય. પ્રયત્નોમાં તો સદાય અસંતોશ જ ઘટે - સદાની લડત, હમ્મેશ  સુધારાને અવકાશ. આમ સતત લડતાં રહીએ, તો જ આપણે શ્રીકૃષ્ણની ગીતાને સાચી રીતે સમજ્યાં કહેવાઈએ. અને તો જ તેને આચરણમાં મુકી ગણાય. બાકી તો બધો વાણીવીલાસ જ.  

      નીત નવાં મહોરાં લગાવવાની વાત પણ આપણને બહુ ઉંડો વીચાર કરતાં કરી મુકે છે. સારાં, ખોટાં, રુપાળાં, કદરુપાં - પણ મહોરાં એટલે મહોરાં. આપણે કદી મહોરાંવીહીન બની શકીએ? ના, કદી નહીં. સ્થીતપ્રજ્ઞ અને વીતરાગને  પણ મહોરું તો હોય છે જ!  પણ આપણે આપણું મહોરું જરુર બદલી શકીએ. બદલતાં જ રહેવું જોઈએ. સદા પરીવર્તનશીલ રહેવું તેમાં જ બાળપણનું સાતત્ય છે. આપણે જે હોઈએ છીએ તેમાં સદા બદલાવની શક્યતા હોય છે.  આપણો સ્વભાવ, આપણા પ્રતીભાવ, આપણા અભીગમો, આપણી માન્યતાઓ એ બધાંમાં બદલાવ શક્ય છે. આવી તૈયારીવાળા વીજેશભાઈ આ ગઝલ દ્વારા આપણને બહુ જ મોટો સંદેશ આપી જાય છે.

        હવે આવતા, અને આવી સરસ રચનાઓ આપતા રહેશોને, વીજેશભાઈ?

Posted in ગઝલ, વીજેશ શુક્લ | 12 Comments »

સદાયે - સુનીલ શાહ

Posted by સુરેશ on October 31, 2007

(દ્વિખંડી ષટ્કલ, છંદ વિધાનઃ ગા \ગાલગાલ\ગાગા\ ગા\ ગાલગાલ\ ગાગા)

રાગઃ ઓ રાત કે મુસાફીર…

આ આસમાનને તો અડવું હતું સદાયે,
ને વાદળો થકી તો ફરવું હતું સદાયે.

રંગો બધા ખવાઇ આ આશના ગયા છે,
આકાર આપવાને મથવું હતું સદાયે.

હોવાપણું કદીયે નો’તું સહજ સરળ તો,
તારા ગયા પછી તો ખરવું હતું સદાયે.

સાગર જરા સમાયો તારી જ આંખમાં જો,
મોજાં સમીપ જઇને તરવું હતું સદાયે.

જીવન સફળ થયું’તું જે વાતને સહારે,
તે મર્મ પામવાને મથવું હતું સદાયે.

માગું તમામ દુઃખને આ આંગણે હવે તો,
એક સૂર્યને અડીને બળવું હતું સદાયે.

પાણી ભલેને છલકે સુખના સરોવરેથી,
મારી તરસને આગળ વધવું હતું સદાયે.

-  સુનીલ શાહ

Posted in ગઝલ, સુનીલ શાહ | 3 Comments »